સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વૃક્ષોનો નાશ કરનારા

વૃક્ષોનો નાશ કરનારા

વૃક્ષોનો નાશ કરનારા

બાઇબલ સમયમાં વૃક્ષોને મૂલ્યવાન સંપત્તિ ગણવામાં આવતાં હતાં. દાખલા તરીકે, ઈબ્રાહીમે પોતાની વહાલી પત્ની, સારાહને દફનાવવા માટે જગ્યા ખરીદવાનો કરાર કર્યો ત્યારે, એ જગ્યા સાથે તેમણે ચારેબાજુનાં વૃક્ષોનો પણ સમાવેશ કર્યો હતો.—ઉત્પત્તિ ૨૩:૧૫-૧૮.

એવી જ રીતે, આજે વૃક્ષોનું ઊંચું મૂલ્ય આંકવામાં આવે છે અને મોટા ભાગના દેશોએ હવે જંગલો બચાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડ ૧૯૯૮ પુસ્તક કહે છે: “સમશીતોષ્ણ કટિબંધના દેશોના ઘણા લોકો ઉષ્ણકટિબંધ પ્રદેશોનાં જંગલોની ચિંતા કરે છે. પરંતુ, તેઓ પોતાના જ દેશોના નાના અને છૂટાછવાયાં જંગલોના અસ્તિત્વ પર જે ભય ઝઝૂમી રહ્યો છે એનાથી અજાણ છે.” કઈ બાબતને લીધે ઉત્તર યુરોપ અને અમેરિકાનાં એ જંગલો જોખમમાં આવી પડ્યા છે? ઘણા લોકો જણાવે છે કે જંગલો કપાઈ રહ્યાં છે પરંતુ, ત્યાં બીજાં પાસાઓ પણ છે જે ચાલાકીથી વૃક્ષોનો સફાયો કરે છે. એ શું છે? હવાનું પ્રદૂષણ અને એસિડનો વરસાદ. આ બંને ઘટકો ધીરે ધીરે વૃક્ષોને નબળાં પાડે છે જેનાથી એ જીવાત અને રોગથી નાશ પામે છે.

દાયકાઓથી પર્યાવરણનો અભ્યાસ કરનારાઓ અને એની ચિંતા કરતી બીજી વ્યક્તિઓએ પૃથ્વીની જીવસૃષ્ટિનું રક્ષણ કરવાની જરૂર વિષે ચેતવણી આપી છે. જર્મનીમાં વૈજ્ઞાનિકોએ ૧૯૮૦ના દાયકામાં વાતાવરણ પર હવાનું પ્રદૂષણ અને એસિડના વરસાદની અસરનો અભ્યાસ કર્યા પછી કહ્યું હતું: ‘વર્ષ ૨૦૦૦ સુધીમાં કંઈ કરવામાં નહિ આવે તો, લોકોએ જંગલોનો આનંદ ફક્ત જૂના ફોટા અને ફિલ્મોમાં જોઈને માણવો પડશે.’ પરંતુ, ખુશીની બાબત છે કે પૃથ્વીની નવઉત્પાદન શક્તિ એટલી બધી છે કે જંગલના વિનાશ વિષે ભવિષ્ય ભાખનારાઓ ખોટા પડ્યા છે.

તેમ છતાં, ભવિષ્યમાં પરમેશ્વર આપણી જીવસૃષ્ટિનું રક્ષણ કરવા માટે પગલાં ભરશે. “તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે” અને “ઢોરને સારૂ તે ઘાસ તથા માણસના ખપને સારૂ શાકભાજી ઉપજાવે છે.” વધુમાં, “જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” કરવાનું તેમણે વચન આપ્યું છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૩, ૧૪; પ્રકટીકરણ ૧૧:૧૮) પૃથ્વી પર રહેનારાઓ હંમેશ માટે પ્રદૂષણ વિનાના જગતનો આનંદ માણશે એ કેવું અદ્‍ભુત હશે!—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.